- Politics
- અજિત પવાર કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાતે કર્યો ફોન; મહારાષ્ટ્રમાં શું કંઈક નવા જૂની થવાની છે?
અજિત પવાર કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાતે કર્યો ફોન; મહારાષ્ટ્રમાં શું કંઈક નવા જૂની થવાની છે?
મહારાષ્ટ્રમાં આગામી પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે વિપક્ષ કોંગ્રેસ સાથે સંભવિત ગઠબંધનની પહેલ કરી છે. PTIના રિપોર્ટ મુજબ, અજિત પવારે રવિવારે રાત્રે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સતેજ પાટીલ સાથે ફોન પર વાત કરીને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે ગઠબંધનની શક્યતા અંગે ચર્ચા કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે આ વાતચીત દરમિયાન અજિત પવારે કોંગ્રેસ સાથે બેઠક વહેંચણીને લઈને સંયુક્ત રણનીતિ પર વિચાર-વિમર્શ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. કોંગ્રેસના નેતા સતેજ પાટીલે આ અંગે જવાબ આપ્યો કે આ મુદ્દા પર પાર્ટીની અંદર ચર્ચા કર્યા બાદ જ નિર્ણય લઈ શકાય છે, કારણ કે કોંગ્રેસ 165 બેઠકોવાળી પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન કાઉન્સિલનો સન્માનજનક હિસ્સેદારી ઇચ્છે છે.
જો કે, સૂત્રોનું એમ પણ કહેવું છે કે આ સંભવિત ગઠબંધનનો માર્ગ સરળ નથી લાગતો. કોંગ્રેસનું નેતૃત્વ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓછી બેઠકો પર સમાધાન કરવાના મૂડમાં નથી. પાર્ટીનું માનવું છે કે પુણે લોકસભા બેઠક મહા વિકાસ અઘાડી (MVA) સીટ-શેરિંગ ફોર્મ્યુલા હેઠળ કોંગ્રેસના હિસ્સામાં આવે છે, એવામાં મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મજબૂત પ્રદર્શન કોંગ્રેસ માટે જમીની પકડ મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે.
આ કારણોસર, કોંગ્રેસ હાલમાં કોઈપણ ગઠબંધનથી સાવચેત છે જેના માટે તેને મર્યાદિત બેઠકો પર સંતોષ માનવો પડે. બીજી તરફ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી અને અજિત પવારની આગેવાની હેઠળની NCP પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ અલગ-અલગ લડશે.
રસપ્રદ વાત એ છે કે, જ્યારે કોંગ્રેસ અજિત પવારની NCP તરફથી આ પહેલ પર વિચાર કરી રહી છે, ત્યારે બીજી તરફ તે પોતાના પરંપરાગત મહા વિકાસ અઘાડીના સાથીઓ- શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને શરદ પવારના NCP (SP) સાથે પણ વાતચીતમાં વ્યસ્ત છે. એવામાં, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસની રણનીતિ ઘણા વિકલ્પો પર આધારિત હોય તેવું લાગે છે.
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે જો આ વાતચીત આગળ વધે તો પણ, બેઠક વહેચણીને લઈને સૌથી મોટો અવરોધ કોંગ્રેસની ‘સન્માનિય હિસ્સેદારી’ની માંગ હશે. હાલ તો, અજિત પવારની આ પહેલથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો અંગે અટકળોને વેગ મળ્યો છે.

