- Sports
- 'ન તો સન્માન મળી રહ્યું હતું કે ન તો સમર્થન...' યુવરાજ સિંહે ક્રિકેટ છોડવાનું સાચું કારણ જણાવ્યું
'ન તો સન્માન મળી રહ્યું હતું કે ન તો સમર્થન...' યુવરાજ સિંહે ક્રિકેટ છોડવાનું સાચું કારણ જણાવ્યું
યુવરાજ સિંહે જૂન 2019માં, ODI વર્લ્ડ કપના મધ્યમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે, તેણે પોતાના નિર્ણય પાછળના કારણો જાહેર કર્યા છે. યુવરાજે કહ્યું કે તે સમયે તે એકલો પડી ગયો હતો. તેને લાગ્યું કે કોઈ તેની રમતનું સન્માન કરતું નથી. યુવરાજ સિંહે 2019માં IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બંનેમાંથી નિવૃત્તિ લીધી. તે 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો હતો પરંતુ ત્યારપછી તેને બહાર કરવામાં આવ્યો હતો.
યુવરાજ યુવરાજ 'સર્વિંગ ઇટ અપ વિથ સાનિયા' પોડકાસ્ટ પર સાનિયા મિર્ઝા સાથે વાત કરી રહ્યો હતો. સાનિયાએ હૈદરાબાદમાં રાત્રિભોજન પર તેની સાથે થયેલી મુલાકાતને યાદ કરી. સાનિયાએ યુવરાજને પૂછ્યું, 'મને તે સમય વિશે કહો જ્યારે તું તમારી સંપૂર્ણ ક્ષમતા સાથે રમી રહ્યો ન હતો. ત્યારે તારા મનમાં શું ચાલી રહ્યું હતું?'
યુવરાજે કહ્યું, 'સાચું કહું તો, હું તે સમયે મારી રમતનો આનંદ લઇ શકતો ન હતો. ત્યારે મેં મારી જાતને સવાલ કર્યો કે, હું શા માટે રમી રહ્યો છું. મને ન તો ત્યારે કોઈનો ટેકો મળી રહ્યો હતો કે ના તો કોઈ સમ્માન મળી રહ્યું હતું. ત્યાર પછી મેં વિચાર્યું, 'જો હું આગળ વધી જ નથી શકતો, તો મારે મારી જાતને શા માટે જબરજસ્તી ખેંચી રહ્યો છું? જ્યારે કે આ રમતે મને આટલું બધું આપ્યું છે. હું એવી વસ્તુની સાથે કેમ વળગી રહ્યો છું, જેમાં મને આનંદ નથી આવી રહ્યો? મારે રમવાની શું જરૂર છે? મારે શું સાબિત કરવાની જરૂર છે? હું શારીરિક અને માનસિક રીતે આનાથી વધુ કરી શકતો નથી. મને તેનાથી તકલીફ થઇ રહી હતી. અને જે દિવસે મેં બધું બંધ કર્યું, તે દિવસે મેં મારી જાતને મહેસુસ કરી.'
યુવરાજે કહ્યું કે, જ્યારે તેને ખ્યાલ આવ્યો કે હવે નહીં રમી શકાય, ત્યારે તેણે તે જ દિવસે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું. ક્રિકેટ પછી ગોલ્ફ સાથેના પોતાના અનુભવો શેર કરતા યુવરાજે કહ્યું કે, આ રમત તેના માટે સ્વતંત્રતા જેવી છે. તેણે ગોલ્ફને એક એવી રમત તરીકે વર્ણવ્યું, જે તે ફક્ત પોતાના માટે રમે છે, કોઈપણ દેશ કે ટીમના દબાણ વિના. મિત્રો સાથે રમવું, હળવી સ્પર્ધા અને લાંબા શોટ મારવાની લાગણી તેને ક્રિકેટમાં છગ્ગા મારવાની યાદ અપાવે છે. યુવરાજના મતે, ગોલ્ફ તેને માનસિક શાંતિ આપે છે અને તેને ફિટ રહેવામાં પણ મદદ કરે છે.
44 વર્ષીય યુવરાજે કહ્યું કે, તેને રમવામાં મજા આવી રહી ન હતી અને તેને માન અને ટેકો મળી રહ્યો ન હતો. આના કારણે તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. સાનિયા મિર્ઝા સાથેની વાતચીતમાં યુવીએ કહ્યું, 'મને મારી રમતમાં આનંદ નહોતો આવી રહ્યો. મને લાગ્યું કે જ્યારે હું આ રમતનો આનંદ માણી રહ્યો નથી ત્યારે હું આ રમત કેમ રમી રહ્યો છું? મને કોઈનો ટેકો મળી રહ્યો ન હતો. મારું સન્માન કરવામાં આવતું ન હતું. અને મને આશ્ચર્ય થયું કે હું આ કેમ કરી રહ્યો છું.'
પ્રશાસન અથવા પસંદગી સમિતિમાં જોડાવા અંગે, યુવરાજે કહ્યું કે, હાલમાં તેની પ્રાથમિકતા તેના બાળકો સાથે સમય વિતાવવાની છે. બાળકો હજુ નાના છે, અને તે આ સમયગાળાને ચૂકવા માંગતો નથી. જોકે, તેણે સ્વીકાર્યું કે IPLમાં કોચિંગ અથવા માર્ગદર્શનની ભૂમિકા તેને ભવિષ્યમાં આકર્ષિત કરે છે, કારણ કે તેને યુવા ખેલાડીઓ સાથે વાતચીત અને માર્ગદર્શન આપવામાં આનંદ આવે છે.
સ્વાસ્થ્ય અને ફિટનેસ વિશે વાત કરતા, યુવરાજે બતાવ્યું કે, નિવૃત્તિ પછી દિનચર્યા જાળવવી પડકારજનક રહી છે, પરંતુ હવે તે તેના શરીરને વધુ સારી રીતે સમજે છે. તેણે ઈજાઓને દરેક ખેલાડીના જીવનનો એક ભાગ ગણાવ્યો અને નોંધ્યું કે આજના સમયમાં ઈજા વ્યવસ્થાપન, પુનઃપ્રાપ્તિ અને ફિટનેસ વિશે જાગૃતિ ઘણી વધી ગઈ છે.
યુવરાજે પોતાની માતા માટે ઘર ખરીદવાના અનુભવને ખૂબ જ ભાવનાત્મક ક્ષણ ગણાવ્યો. તેણે કહ્યું કે, તેની પહેલી કમાણીથી તેની માતાને પોતાનું ઘર આપવું એ તેના જીવનની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક હતી. તેના બાળકો સાથેના સંબંધો વિશે, યુવરાજે તેની પત્ની હેઝલને નાનપણથી જ તેમની સાથે જોડાવા માટે પ્રેરણા આપવાનો શ્રેય આપ્યો. યુવરાજે કહ્યું કે ભલે તે દૂર પ્રવાસ કરે, તેમની સાથેનો તેનો સંબંધ મજબૂત રહે છે.
https://www.instagram.com/reel/DUCn7x-jYGp/
યુવરાજે પોડકાસ્ટમાં તેના જીવન અને કારકિર્દીના ઘણા વ્યક્તિગત અને ભાવનાત્મક પાસાઓ ખુલ્લેઆમ શેર કર્યા. યુવરાજે ખુલાસો કર્યો કે, તેના ડૉક્ટરે એક વખત તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેની પાસે જીવવા માટે ફક્ત ત્રણથી છ મહિના બાકી છે, અને તેની પાસે ફક્ત બે જ વિકલ્પો બચ્યા હતા, કાં તો ક્રિકેટ રમવાનું ચાલુ રાખો અથવા તો મેદાન પર પોતાનો જીવ ગુમાવી નાખે અથવા તો સારવાર લો. યુવરાજે આને તેના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય ગણાવ્યો.
તેણે સ્વીકાર્યું કે તેની કારકિર્દીના છેલ્લા તબક્કામાં ક્રિકેટ તેના માટે બોજ બની ગયું હતું. તેને ન તો ટેકો મળ્યો કે ન તો આદર. યુવરાજે કહ્યું કે જ્યારે રમતના મેદાનમાં પ્રવેશ કરતી વખતે કોઈના દિલમાં ભારેપણું લાગે છે, ત્યારે એવો વિચાર આવી જાય છે કે કંઈક ખોટું છે. આ જ કારણ હતું કે તેણે આખરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી.
2007ના T20 વર્લ્ડ કપમાં પોતાના ઐતિહાસિક છ છગ્ગા વિશે યુવરાજે કહ્યું કે, તે ક્ષણ ભાવનાઓથી ભરેલી હતી. ઇંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન એન્ડ્રુ ફ્લિન્ટોફ સાથે થયેલી દલીલે તેને અંદર સુધી હચમચાવી નાખ્યો હતો. ગુસ્સામાં, તેણે પોતાની બધી શક્તિ બોલ મારવા પર કેન્દ્રિત કરી, અને આ ગુસ્સો તેની તાકાત બની ગયો. યુવરાજે કહ્યું કે તે દિવસે બધું તેના પક્ષમાં થઈ રહ્યું હતું અને તે છેલ્લી ક્ષણ સુધી બોલ જોઈ શકતો હતો.
યુવરાજે એ પણ સ્વીકાર્યું કે, સમય જતાં સચિન તેંડુલકર સાથેનો તેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. તેણે સચિનના જન્મદિવસ પર એક જૂનો ફોટો પોસ્ટ કરવા બદલ જાહેરમાં માફી માંગી અને કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં સચિનને હળવા અને મસ્તીના મૂડમાં જોવું હંમેશા ખાસ રહે છે.
તેના પિતા યોગરાજ સિંહ વિશે, યુવરાજે કહ્યું કે બાળપણમાં, તેને ક્રિકેટ કરતાં ટેનિસ અને રોલર સ્કેટિંગમાં વધુ રસ હતો. ક્રિકેટ તેના પર દબાણપૂર્વક નાખવામાં આવ્યું હતું, પરંતુ સમય જતાં તેણે તેની પ્રતિભા શોધી કાઢી. યુવરાજે સ્વીકાર્યું કે તેના પિતા શરૂઆતમાં પિતા કરતાં કોચ વધુ બન્યા, જે તેના માટે ભાવનાત્મક રીતે પડકારજનક હતું.
2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ જીતના હીરો યુવરાજે તેની કારકિર્દીની શરૂઆતમાં તેની પ્રતિભા વિશે ઉભા થયેલા પ્રશ્નો વિશે પણ વાત કરી. નવજોત સિંહ સિદ્ધુએ તેને હટાવી દીધો હતો. આ અંગે, યુવીએ કહ્યું, 'હવે, જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને લાગે છે કે તેની પાસે મારી રમતનું યોગ્ય મૂલ્યાંકન કરવાનો સમય નહોતો. તે ફક્ત મારા પિતાની સામે સારો બનવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે તે ભારત માટે પણ રમી રહ્યો હતો, તેથી કદાચ તેણે એવું કહ્યું હશે. હું તે સમયે 13-14 વર્ષનો હતો, રમતને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં તેમના શબ્દોને વ્યક્તિગત રીતે લીધા નહીં, પણ મારા પિતાએ લીધા. તેમણે કહ્યું, 'ચાલ દીકરા, હું તને ક્રિકેટ કેવી રીતે રમવું તે બતાવીશ.'
યુવરાજે 2000માં ICC નોકઆઉટ ટ્રોફીમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ત્યારપછી તેણે 2007ના T20 વર્લ્ડ કપ અને 2011ના વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવ્યો. તે 2011ના વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ રહ્યો હતો.

