- Sports
- ભારત સામેની મેચના બહિષ્કાર પર ICCનું કડક વલણ... પાકિસ્તાની ટીમને આપી મોટી વોર્નિંગ
ભારત સામેની મેચના બહિષ્કાર પર ICCનું કડક વલણ... પાકિસ્તાની ટીમને આપી મોટી વોર્નિંગ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પાકિસ્તાન સરકાર તરફથી તેની રાષ્ટ્રીય ટીમને T20 વર્લ્ડ કપ 2026માં પસંદગીની મેચો રમવાના નિર્દેશ પર કડક પ્રતિક્રિયા આપી છે. ICCએ જણાવ્યું હતું કે તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી સત્તાવાર અને લેખિત માહિતીની રાહ જોઈ રહ્યું છે, પરંતુ આવો નિર્ણય વૈશ્વિક રમતની ભાવનાની વિરુદ્ધ છે. પાકિસ્તાન સરકારે નિર્ણય લીધો છે કે તેની ટીમ 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાની રાજધાની કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે.
ICCએ પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે, ‘વર્લ્ડ કપ જેવી કોઈપણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં, બધી ક્વાલિફાઇંગ ટીમો નિર્ધારિત શેડ્યૂલ મુજબ બરાબરીની શરતો પર પ્રતિસ્પર્ધા કરે છે. એક ટીમ દ્વારા પસંદગીની મેચો રમવાનો કોઈપણ નિર્ણય સ્પર્ધાની નિષ્પક્ષતા, સાતત્ય અને રમતની ભાવનાને સીધી રીતે નુકસાન પહોંચાડે છે.
https://twitter.com/ICC/status/2018017591101710462?s=20
ક્રિકેટની ટોચની સંસ્થાએ જણાવ્યું હતું કે, ICC ટૂર્નામેન્ટ રમતની પવિત્રતા, સ્પર્ધાત્મક સંતુલન અને નિષ્પક્ષતા પર આધારિત હોય છે. આવી સ્થિતિમાં, પસંદગીની ભાગીદારી આ મૂલ્યોને નબળી પાડે છે અને સ્પર્ધાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભા કરે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પુનરોચ્ચાર કર્યો કે તે રાષ્ટ્રીય નીતિગત બાબતોમાં સરકારોની ભૂમિકાનું સન્માન કરે છે, પરંતુ આ નિર્ણય વૈશ્વિક ક્રિકેટ, ટૂર્નામેન્ટની પ્રતિષ્ઠા અથવા વિશ્વભરના કરોડો ફેન્સ, ખાસ કરીને પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓના હિતમાં નથી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આશા વ્યક્ત કરી કે, PCB આ નિર્ણયના દૂરગામી અને ગંભીર પરિણામો પર ગંભીરતાથી વિચાર કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ચીમકીભર્યા અંદાજમાં કહ્યું કે, આનાથી ન માત્ર પાકિસ્તાન ક્રિકેટ, પરંતુ સમગ્ર વૈશ્વિક ક્રિકેટ ઇકોસિસ્ટમ પર પણ અસર પડશે, જેનો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક ભાગ છે અને જેનો ફાયદો તે પણ ઉઠાવે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સ્પષ્ટ કર્યું કે, તેની પ્રાથમિકતા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026નું સફળ અને સુગમ સંચાલન છે. આ જવાબદારી PCB સહિત તમામ સભ્ય બોર્ડની છે. પરિષદે PCBને તમામ હિતદારોના હિતોનું રક્ષણ કરતા કોઈ પરસ્પર સંમત ઉકેલ તરફ આગળ વધવાની અપીલ કરી છે.

