- Sports
- પાકિસ્તાનની નવી ડિમાન્ડ પોલિટિક્સ! ભારત સાથે T20 વર્લ્ડ કપ મેચ રમવા માટે 3 શરતો મૂકી, શું ICC સહમત થ...
પાકિસ્તાનની નવી ડિમાન્ડ પોલિટિક્સ! ભારત સાથે T20 વર્લ્ડ કપ મેચ રમવા માટે 3 શરતો મૂકી, શું ICC સહમત થશે?
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ રમવાની છે. પાકિસ્તાન સરકારે આ મેચ માટે તેની ટીમને મેદાનમાં ઉતરવાની મંજૂરી આપી નથી, જેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને વોર્નિંગ આપી હતી કે, ‘જો તે મેચનો બહિષ્કાર કરશે, તો તેણે પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ.’
ICCએ સ્પષ્ટ કર્યું હતું કે, ‘ટુર્નામેન્ટમાં પસંદગીયુક્ત ભાગીદારી સ્વીકારવામાં નહીં આવે અને કોઈપણ ટીમે કરાર મુજબ બધી મેચ રમવી પડશે. ICCએ ચીમકી આપી હતી કે જો પાકિસ્તાન ભારત સામેની મેચમાંથી ખસી જશે, તો તેને ભારે આર્થિક નુકસાન અને સંભવિત પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.
ICCની કડકાઇ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બેકફૂટ પર આવ્યું. સમગ્ર મુદ્દાને ઉકેલવા માટે, ICC અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે રવિવારે મોડી સાંજે લાહોરમાં ICC અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પાકિસ્તાને બાંગ્લાદેશને પણ બેઠકમાં આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ અમીનુલ ઇસ્લામ 'બુલબુલ'એ બેઠકમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું. ટૂંક સમયમાં એક મોટો નિર્ણય સામે આવી શકે છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, PCBએ ભારત વિરુદ્ધ મેચ રમવા માટે 3 મુખી શરતો રાખી છે:
1. PCBની પ્રાથમિક અને મુખ્ય માંગ ICCના રેવેન્યૂ મોડેલ સાથે સંબંધિત છે. પાકિસ્તાન ઈચ્છે છે કે, તેને ICCની કમાણીનો મોટો હિસ્સો મળે. જો કે, ICCના રેવેન્યૂનું વિતરણ પૂર્વનિર્ધારિત નિયમો પર આધારિત હોય છે એટલે આ માંગ પર તાત્કાલિક નિર્ણય લેવાનું સરળ માનવામાં આવી રહ્યું નથી.
2. પાકિસ્તાનની બીજી શરત ભારત સાથે દ્વિપક્ષીય ક્રિકેટ ફરી શરૂ કરવાની છે. પરંતુ, આ મામલો ICCના અધિકારક્ષેત્રમાં આવતો નથી, કારણ કે બંને દેશો વચ્ચેની સીરિઝનો નિર્ણય સંબંધિત ક્રિકેટ બોર્ડ અને સરકારોના સ્તર પર લેવામાં આવે છે. એટલે, આ માંગણી પૂરી કરવી અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે.
3. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ દરમિયાન ખેલાડીઓ વચ્ચે ફરજિયાત હાથ મળાવવાના પ્રોટોકોલને લાગુ કરવાની પણ માંગ કરી છે. જો કે, વર્તમાન નિયમો અનુસાર, હાથ મળાવવા ફરજિયાત નથી અને તે સંપૂર્ણપણે ટીમો વચ્ચે પરસ્પર સહમતિ પર નિર્ભર કરે છે.
સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા કારણોસર તેની ટીમની મેચો માટે વેન્યૂ બદલવાની માંગ કરી હતી. જોકે, ICCએ આ માંગણીને નકારી કાઢી અને બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ કર્યો. ત્યારબાદ પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં કોલંબોમાં ભારત સામેની ગ્રુપ મેચ ન રમવાની વાત કહી.
શ્રીલંકાએ પણ આ વિવાદ પર નારાજગી વ્યક્ત કરી. શ્રીલંકા ક્રિકેટે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરશે, તો તેનાથી પર્યટન અને આતિથ્ય ક્ષેત્રોને ભારે નુકસાન થશે. શ્રીલંકાએ પાકિસ્તાનને તે સમયની યાદ પણ અપાવી જ્યારે તેને આંતરરાષ્ટ્રીય બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો અને શ્રીલંકાની ટીમે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીમાં કેવી રીતે મદદ કરી હતી.
ICCએ સ્પષ્ટ કર્યું કે વર્લ્ડ કપની પ્રતિષ્ઠા સર્વોપરી છે. જોકે, ICCએ વાતચીત માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. હવે, બધાની નજર આ મહત્ત્વપૂર્ણ બેઠકના પરિણામ પર છે.

