- Sports
- મેચ પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મળાવવા બદલ શું ભારતને દંડ થશે? જાણો શું છે ICC અને ACCનો નિયમ
મેચ પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મળાવવા બદલ શું ભારતને દંડ થશે? જાણો શું છે ICC અને ACCનો નિયમ
એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ઉત્સાહથી ભરેલી હતી. જ્યારે, મેચ પછીનો વિવાદ પણ હેડલાઇન્સમાં છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ-વિનિંગ સિક્સ ફટકારતાની સાથે જ તે સીધો શિવમ દુબે સાથે પેવેલિયન ગયો. બંનેએ પરંપરા મુજબ પાકિસ્તાની ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નહીં.
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ દુબઈમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. મેચ પછી, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટપણે કહ્યું કે અમે પહેલગામના પીડિતો સાથે ઉભા છીએ અને આ જીત દેશને સમર્પિત છે.
સામાન્ય રીતે ક્રિકેટ મેચ સમાપ્ત થયા પછી, બંને ટીમો એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે અને ખેલદિલી બતાવે છે. પાકિસ્તાની ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો ભારતીય ખેલાડીઓના હાથ મિલાવવા માટે રાહ જોતા રહ્યા. પરંતુ આખી ટીમ મેદાનથી સીધી તેમના ડ્રેસિંગ રૂમમાં ગઈ અને દરવાજા બંધ કરી દીધા હતા. આ અગાઉ, ટોસ દરમિયાન પણ સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આગાએ હાથ મિલાવ્યા ન હતા.
ક્રિકેટ દ્વારા, ભારતે ફરી એકવાર આખી દુનિયાને સંદેશ આપ્યો કે, પાકિસ્તાન સામે રમવું અમારી મજબૂરી છે, પરંતુ અમે ક્યારેય આતંકવાદને સહન કરીશું નહીં અને દુશ્મન દેશને ગળે લગાવવાની ભૂલ કોઈપણ સંજોગોમાં કરવામાં આવશે નહીં. આ મેચમાં, ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓની સંપૂર્ણ અવગણના કરી. તેઓ મેદાન પર આવ્યા, રમ્યા અને કોઈપણ વિવાદ વિના ચાલ્યા ગયા.
હવે ભારતીય ટીમનું આ વર્તન પાકિસ્તાનને યોગ્ય લાગતું નથી અને તેના વિશે ફરિયાદ પણ કરવામાં આવી હતી. પાકિસ્તાન ટીમના મેનેજરે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સામે ફરિયાદ પણ નોંધાવી હતી અને એવું કહેવામાં આવ્યું છે કે, તેમણે બંને દેશોના કેપ્ટનોને હાથ ન મિલાવવા વિનંતી કરી હતી. હવે પ્રશ્ન એ છે કે, શું આ ફરિયાદ પછી ભારત પર કોઈ પ્રકારનો દંડ લાદવામાં આવશે, જવાબ ના છે.
ICC કે ACCના કોઈપણ નિયમ બુકમાં એવું લખાયેલું નથી કે, જો કોઈ ટીમનો ખેલાડી બીજી ટીમના ખેલાડી સાથે હાથ નહીં મિલાવે તો તેના પર કોઈપણ પ્રકારનો દંડ લાદવામાં આવશે. હાથ મિલાવવા એ કોઈ નિયમ નથી, પણ તેને ફક્ત ખેલદિલી તરીકે જોવામાં આવે છે. આ જ કારણ છે કે, મેચ પછી બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે. જો કોઈ કોઈની સાથે હાથ ન મિલાવે તો તેને ફક્ત ખેલદિલીની વિરુદ્ધ જ ગણી શકાય અને તેનાથી વધુ કંઈ નહીં.

