- Business
- દેશમાં પહેલીવાર અદાણીએ તૈયાર કર્યું એવું બંદર જે AI ટેક્નોલોજીથી ચાલે છે
દેશમાં પહેલીવાર અદાણીએ તૈયાર કર્યું એવું બંદર જે AI ટેક્નોલોજીથી ચાલે છે
તિરુઅનંતપુરમઃ કેરળના દક્ષિણ કિનારે, તિરુઅનંતપુરમથી માત્ર 16 કિલોમીટર દૂર વિઝિન્જામમાં અદાણી ગ્રુપ દ્વારા વિકસિત આંતરરાષ્ટ્રીય દરિયાઈ પોર્ટ ભારતનું પ્રથમ AI(આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)-આધારિત અને મહિલા-સંચાલિત બંદર બની ગયું છે. આ પોર્ટ ભારતને ભૂતકાળમાં ગુમાવેલી દરિયાઈ વેપારની તક પાછી તો મેળવી આપશે, પણ ભવિષ્યમાં જે AI ટેકનોલોજી દુનિયા ઉપર છવાયેલી હશે, તે ટેકનોલોજીને આ પોર્ટ ઉપર મહિલા લીડરશિપની સાથે અપનાવવામાં આવી છે.

મહિલાઓ મુખ્ય ભૂમિકામાં: ટેકનોલોજી અને મહિલાશક્તિના અનોખા સંયોજનથી પોર્ટનું સંચાલન વધુ કાર્યક્ષમ અને અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે. ભારત પાસે અગાઉ ઇન્ટરનેશનલ શિપિંગ રૂટની નજીક કુદરતી 20 મીટર ઊંડાઈવાળું કોઈ પોર્ટ નહતું, જેના કારણે વિશાળ કાર્ગો જહાજો ભારતીય બંદરો પર લાંગરવાની મર્યાદા હતી. એટલે જ દેશનું 75 ટકા શિપિંગ કાર્ગો કોલંબો, દુબઈ તથા સિંગાપુર જેવા વિદેશી બંદરો પરથી મોકલવું પડતું હતું. હવે વિઝિન્જામ ઇન્ટરનેશનલ સી પોર્ટ આ નબળાઈઓને દૂર કરીને ભારતને વિશ્વના અગ્રણી દરિયાઈ વેપારી દેશમાં સ્થાન અપાવશે. AI-બેઝ્ડ અલ્ટ્રા-મોર્ડન ઓટોમેટેડ ટેકનોલોજી અને મહિલા કર્મચારીઓની અગ્રણી ભૂમિકા સાથે આ પોર્ટ વિદેશી બંદરો પરની નિર્ભરતા 75 ટકાથી ઘટાડીને માત્ર 15 ટકા કરશે, જેમાં વાર્ષિક 1 બિલિયન ડોલરનું વિદેશી વિનિમય બચશે. આ પ્રોજેક્ટથી ભારતના આયાત-નિકાસમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે, જે કેરળ અને દક્ષિણ ભારતની અર્થવ્યવસ્થાને પણ નવી ઊંચાઈઓ આપશે, ખાસ કરીને મહિલા સશક્તિકરણના પ્રયાસોને પ્રોત્સાહન આપીને.

કુદરતી રીતે શ્રેષ્ઠ જગ્યા: ભૌગોલિક દૃષ્ટિએ વિઝિન્જામ પોર્ટ અરબી સમુદ્રના કિનારે સ્થિત છે, જે યુરોપ, પર્શિયન ગલ્ફ અને ફાર ઇસ્ટને જોડતા વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટથી માત્ર 10 નોટિકલ માઇલ (લગભગ એક કલાક)ના અંતરે છે. આ સ્થાનથી પૂર્વ-પશ્ચિમ વેપાર માર્ગો સાથે સીધી કનેક્ટિવિટી મળે છે, જે વિદેશી જહાજો માટે હેરફેર ઘટાડે છે. આ પોર્ટની કુદરતી ઊંડાઈ 18 મીટરથી વધુ (કેટલાક વિસ્તારોમાં 24 મીટર) છે, જે ભારતમાં અન્ય કોઈ પોર્ટમાં નથી, જેથી કેપિટલ ડ્રેજિંગની જરૂર નથી અને મેઈન્ટેનન્સ ખર્ચ પણ ઘટે છે. તેની કર્વિલિનિયર કોસ્ટલાઇન સુનામીના પ્રભાવને ઘટાડે છે અને સિલ્ટેશન અટકાવે છે, જે તેને ઓલ-વેધર પોર્ટ બનાવે છે. પોર્ટનું ક્ષેત્રફળ 800 એકરથી વધુ છે, જ્યાં 3.1 કિલોમીટર લાંબું બ્રેકવોટર (વધારીને 4.5 કિલોમીટર) મોજાની અસર અટકાવે છે. તિરુઅનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 19 કિલોમીટર અને NH-66થી 2 કિલોમીટરના અંતરે આવેલું આ પોર્ટ રેલ કનેક્શન માટે 10 કિલોમીટરની લાઇન (માં 9 કિલોમીટર ટનલ) વિકસાવી રહ્યું છે, જે ભારતની ત્રીજી સૌથી લાંબી રેલવે ટનલ બનશે અને પોર્ટને લાસ્ટમાઈલ કનેક્ટિવિટી અપાવીને દેશનું સૌથી સક્ષમ બંદર બનાવશે.

પહેલો તબક્કો પૂર્ણ થઇ ગયો : પોર્ટના સીઈઓ પ્રદીપ જયરામનની આગેવાની હેઠળ, આ પોર્ટ સેમી-ઓટોમેટેડ અને અતિઆધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જેમાં AI અને IoT-આધારિત કાર્ગો ટ્રેકિંગ સિસ્ટમ રિઅલ-ટાઈમમાં કન્ટેઇનર હેન્ડલિંગ કરે છે. તેમાં 8 STS સુપર પોસ્ટ-પેનામેક્સ ક્રેઇન્સ (એકની આઉટરીચ 72 મીટર, લિફ્ટિંગ હાઇટ 74 મીટર) અને 24 ઓટોમેટેડ RMG ક્રેઇન્સ છે, જેના કારણે જહાજનો ટર્નઅરાઉન્ડ ટાઈમ 24 કલાકથી ઓછો થઈ જાય છે – જ્યારે અન્ય પોર્ટમાં તે 2-3 દિવસ લાગે છે. આ AI-સંચાલિત વ્યવસ્થા ભારતમાં એકમાત્ર છે, જે 18,000 TEU (20-ફૂટ કન્ટેઇનર) લઈ શકે તેવા મેગા-કન્ટેઇનરશિપ્સને લાંગરવાની ક્ષમતા આપે છે. આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો ડિસેમ્બર 2024માં પૂર્ણ થયો છે (1.8 મિલિયન TEU ક્ષમતા), જ્યારે 2028-29માં બીજો તબક્કો (6.2 મિલિયન TEU) સાથે તે ગ્રીન પોર્ટ બનશે, જેમાં રિન્યુએબલ એનર્જી, બ્રેક-બલ્ક અને લિક્વિડ ટેન્કર ફેસિલિટીનો પણ સમાવેશ થશે. આ પોર્ટ ઉપર AI ટેકનોલોજીનું મહિલા કર્મચારીઓની ટીમ હેન્ડલિંગ કરે છે, જેમાં મહિલા એન્જિનિયર્સ અને ક્રેઈન ઓપરેટર્સ AI સિસ્ટમ્સને ઓપરેટ કરીને પોર્ટને વિશ્વના પ્રથમ ‘મહિલા-લીડ’ AI પોર્ટ તરીકેનું ગૌરવ અપાવી રહ્યાં છે. જેન્ડર ઇક્વાલિટી અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટનું પણ આ પોર્ટ પ્રતિક બન્યું છે.


વિદેશ વેપારમાં ગુમાવેલા અવસરો પાછા મળશે: આ AI અને મહિલા-સંચાલિત પોર્ટ ભારતના વિદેશ વેપારમાં ગુમાવેલા અવસરો પાછા લાવશે. હાલમાં 75% કન્ટેઇનર ટ્રાન્શિપમેન્ટ કાર્ગો કોલંબો (45%), સિંગાપુર (15%) અને દુબઈ (10%) પરથી જાય છે, જે વાર્ષિક 1 બિલિયન ડોલરનું વિદેશી વિનિમય નુકસાન કરે છે. વિઝિન્જામ કોલંબો કરતા 43% ઓછા ખર્ચે કાર્ગો હેન્ડલ કરશે અને લોજિસ્ટિક્સમાં 40% ઘટાડો કરશે. નિકાસમાં ટેક્સટાઇલ, કૃષિ અને ઔદ્યોગિક માલને યુરોપ, આફ્રિકા, મિડલ ઇસ્ટ અને ફાર ઇસ્ટ તરફ 14% વાર્ષિક વૃદ્ધિ મળશે. આયાતમાં FDI વધશે, સપ્લાય ચેઇન મજબૂત થશે અને GDPમાં 1% યોગદાન આપશે. 2028-29 સુધીમાં 5,000થી વધુ રોજગારો (જેમાં મહિલાઓનો મોટો હિસ્સો) અને 100 બિલિયન રૂપિયાનું આર્થિક યોગદાન થશે. આ પોર્ટ ભારતને ગ્લોબલ ટ્રાન્શિપમેન્ટ હબ બનાવીને વેપારી સમતોલ મજબૂત કરશે અને નીલી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપશે, જેમાં AI અને મહિલા લીડરશિપની ભૂમિકા મહત્વની રહેશે. અદાણીના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી દક્ષિણ એશિયાનું વેપારી ભવિષ્ય ઉજ્જવળ થશે, જે AI ટેકનોલોજી અને મહિલા સશક્તિકરણ દ્વારા ભારતને વૈશ્વિક માર્કેટમાં અગ્રેસર બનાવશે, તેવું પોર્ટના સીઇઓ પ્રદીપ જયરામને આશાવાદ દર્શાવ્યો હતો.

વિઝિન્જામ પોર્ટ ઉપર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કઈ રીતે કામ કરે છે..?
વિઝિન્જામની કામગીરી સેમી ઓટોમેટિક છે અને AI તથા IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) સિસ્ટમ્સથી ઓપરેટ થઆય છે, જે તેને ભારતનું પહેલું AI-આધારિત પોર્ટ બનાવે છે.
- અહીં AIની મદદથી રિઅલ-ટાઈમ કાર્ગો ટ્રેકિંગ અને કન્ટેઇનર હેન્ડલિંગ થાય છે. AI-આધારિત IoT સેન્સર્સ અને કમ્પ્યુટર વિઝન સિસ્ટમ્સ પોર્ટના 800+ એકર વિસ્તારમાં કન્ટેઇનર્સને રિઅલ-ટાઈમમાં ટ્રેક કરે છે.
- મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ ક્રેઇન્સ, વાહનો અને બર્થ્સમાંથી મળતા ડેટાનો ઉપયોગ કરીને કન્ટેઇનરની મુવમેન્ટ કઈ રીતે કરી શકાય તેને નક્કી કરી આપે છે.
- આ ટેકનોલોજીને કારણે મેન્યુઅલ ભૂલો 30% સુધી ઘટે અને મેઈન્ટેનન્સ પણ ઘટાડે છે. ઉદાહરણ તરીકે, AI ક્રેઇન્સના વાઇબ્રેશન અને ઘસારાના ડેટાનું વિશ્લેષણ કરીને મેઇન્ટેનન્સના સિગ્નલ પણ આપે છે.
- પોર્ટ 18,000+ TEU વહન કરતા મેગા-શિપ્સને હેન્ડલ કરે છે, જ્યાં AI શિપ-ટુ-શોર (STS) ક્રેઇન્સ અને રેલ-માઉન્ટેડ ગેન્ટ્રી (RMG) ક્રેઇન્સ વચ્ચે અત્યંત સરળતાથી સંયોજન કરીને આપે છે.
- સેમી ઓટોમેટિક ક્રેઈનને કારણે શીપનો ટર્નઅરાઉન્ડ ટાઈમ (લોડિંગ-અનલોડિંગનો ટાઈમ) ખૂબ જ ઘટી જાય છે.
- પોર્ટ ઉપર 8 STS સુપર પોસ્ટ-પેનામેક્સ ક્રેઇન્સ (આઉટરીચ 72 મીટર સુધી અને લિફ્ટિંગ હાઇટ 74 મીટર) અને 24 સ્વયંચલિત RMG ક્રેઇન્સ AI-નિયંત્રિત છે. -- મેન્યુઅલ ક્રેઈન ઓપરેશનને કારણે થતી માનવીય ભૂલો, લોડિંગનો પાથ ગુંચવણ ભર્યો અને નાના અકસ્માત નથી થતાં
- AIને કારણે જહાજનો ટર્નઅરાઉન્ડ ટાઈમ 24 કલાકથી ઓછો થઈ જાય છે, પરંપરાગત ભારતીય પોર્ટમાં તે 2-3 દિવસ લાગે છે.
- AIને કારણે લોજિસ્ટિક્સ અને હવામાનની આગાહીનું વિશ્લેષણ સચોટ થઈ શકે છે અને સપ્લાય ચેઇન વિલંબનુ અનુમાન પણ મળી શકે છે.
- નિકાસકારો/આયાતકર્તાઓ માટે લોજિસ્ટિક્સ ખર્ચ 40% ઘટી રહ્યો છે.
- બીજા તબક્કામાં (2028-29), AI પોર્ટ કામગીરી માટે રિન્યુએબલ એનર્જી (સોલાર/વિન્ડ)નો ઑપ્ટિમાઇઝેશન કરશે, જેમાં ઇલેક્ટ્રિક ક્રેઇન્સ અને સ્વયંચલિત ગાઇડેડ વાહનો (AGVs)નો સમાવેશ થશે.

કોલંબો, સિંગાપોરને હંફાવશે: ભારતે કઈ કઈ તક ગુમાવી હતી અને વિઝિન્જામનું AI-મહિલા સંચાલન પછી કઈ કઈ તક મળશે
– માત્ર 12-14 મીટર ઊંડાઈવાળા છીછરા પોર્ટને કારણે મોટા કાર્ગો જહાજો હેન્ડલ કરવામાં અસમર્થતા
– 75 ટકા કાર્ગો કોલંબો, સિંગાપુર, દુબઈ માર્ફતે જવું પડતું
– વધુ ટર્નઅરાઉન્ડ ટાઈમ (2-3 દિવસ) અને નબળી ઓપરેશનલ ક્ષમતા, જેના કારણે મુખ્ય શિપિંગ કંપનીઓ આવતી નહીં
– નબળી રોડ-રેલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ, જેમાં GDPના 13-14% ખર્ચ થાય (વૈશ્વિક એવરેજ 8-9%)
– શ્રેષ્ઠ ભૌગોલિક સ્થિતિ હોવા છતાં ટ્રાન્શિપમેન્ટ હબ ન બની શક્યું
– વાર્ષિક 2.5-3 મિલિયન TEU કાર્ગો વિદેશી પોર્ટ પરથી હેન્ડલ, 500 મિલિયન ડોલર વિદેશી વિનિમય નુકસાન
– નિકાસકારોને કન્ટેઇનર દીઠ 150-200 ડોલર વધારાનો ખર્ચ
– 50,000-70,000 રોજગારોની તક ગુમાવી
– હાલમાં ભારતીય બંદરો પરથી માત્ર 25% ટ્રાન્શિપમેન્ટ, કોલંબો 45%, દુબઈ 10%, સિંગાપુર 15%
– AI-મહિલા સંચાલન પછી: ટ્રાન્શિપમેન્ટ 60% ભારતીય બંદરો પરથી, કોલંબો 20%, સિંગાપુર 10%, દુબઈ 5%
– કુદરતી 20+ મીટર ઊંડાઈથી અલ્ટ્રા-લાર્જ જહાજોને લંગરવાની ક્ષમતા, AIથી 24 કલાકથી ઓછો ટર્નઅરાઉન્ડ
– 10 નોટિકલ માઇલ દૂરીથી પ્રથમ વૈશ્વિક ટ્રાન્શિપમેન્ટ હબ, મહિલા લીડરશિપથી 5,000+ રોજગારો (મહિલાઓને પ્રાધાન્ય) અને જેન્ડર-સમાન વ્યવસ્થાપન.

