- Gujarat
- પંચમહાલમાં 5 ટર્મ MLA, 2 ટર્મ સાંસદ રહેલા પ્રભાતસિંહ ચૌહાણનું નિધન
પંચમહાલમાં 5 ટર્મ MLA, 2 ટર્મ સાંસદ રહેલા પ્રભાતસિંહ ચૌહાણનું નિધન

પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું 82 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેમણે મેહલોલમાં આવેલા તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા છે. સતત 5 ટર્મ સુધી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. બે ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના નિધનથી ગુજરાતના રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું છે છે. પ્રભાતસિંહ ચૌહાણે પોતાના રાજકીય કરિયરની શરૂઆત મેહલોલ ગામના સરપંચ તરીકે કરી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર ફરજ બજાવી ચૂક્યા હતા.
વર્ષ 1980 અને વર્ષ 1985માં પ્રભાતસિંહ ચૌહાણે પ્રથમ બે વિધાનસભા ચૂંટણી કાલોલ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેમણે જીત મેળવી હતી. ત્યારબાદ વર્ષ 1990માં કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી તેઓ વર્ષ 1995, વર્ષ 1998 અને વર્ષ 2002માં ચૂંટણી લડ્યા અને જીત પણ હાંસલ કરી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન પ્રભાતસિંહ ચૌહાણ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિજાતિ વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલયમાં મંત્રી તરીકેની સેવા આપી ચૂક્યા હતા.
ત્યારબાદ વર્ષ 2007માં તેઓ કોંગ્રેસના સી.કે. રાઉલજી સામે હારી ગયા હતા. આ વખત તેમના પુત્ર પણ કાલોલથી અપક્ષ ઉમેવાદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા જો કે, તેઓ પણ હારી ગયા હતા. તેઓ વર્ષ 2009 અને વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. ટૂંકમાં તેઓ તેઓ પંચમહાલના સાંસદ તરીકે પણ 2 ટર્મ સુધી રહ્યા હતા. તેમને વર્ષ 2019માં ભાજપે લોકસભાની ટિકિટ ન આપતા તેઓ નારાજ થયા હતા. ગત વર્ષ સુધી તેઓ રાજકારણમાં સક્રિય હતા. ભાજપથી નારાજ થઈને તેઓ ગત વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
પ્રભાત સિંહ ચૌહાણનો જન્મ 15 જૂન 1941ના રોજ પંચમહાલ જિલ્લામાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ શ્રી કે.કે. હાઇસ્કુલ પંચમહાલ વેજલપુરથી હાંસલ કર્યું હતું, તેમણે SSC સુધીનો અભ્યાસ કર્યો હતો. એ સિવાય નિરક્ષરતા, વસ્તી, કુપોષણ, મદ્યપાન વગેરે જેવા ગ્રામીણ સમુદાયોમાં રહેલા વિવિધ દુષણોનો ગાઢ અભ્યાસ કર્યો હતો. તેઓ રાજકારણમાં જોડાયા એ અગાઉ એક કૃષિવિદ, શિક્ષણવિદ ઉપરાંત એક સામાજિક કાર્યકર હતા.