- Gujarat
- લગ્નના 9 માહિનામાં જ પરિણીતાએ બાળકને જન્મ આપતા પતિ બોલ્યો- ‘આ પુત્ર મારો નથી’
લગ્નના 9 માહિનામાં જ પરિણીતાએ બાળકને જન્મ આપતા પતિ બોલ્યો- ‘આ પુત્ર મારો નથી’
લગ્નના હજી 9 મહિના થયા હતા અને એક પરિણીતાએ પુત્રને જન્મ આપી દીધો, જેને કારણે પતિના મનમાં વહેમ ભરાયો. લગ્નના 9 મહિનામાં જ પરિણીતાએ પુત્રને જન્મ આપતા પતિએ 'આ બાળક મારું નથી' કહીને ઝઘડો કરીને માર માર્યો હતો. જેથી પરિણીતાએ પુત્રનું DNA પરીક્ષણ કરાવ્યું, તો તેનો પતિ જ બાળકનો અસલી પિતા હોવાનું સામે આવ્યું હતું. છતા પતિ સહિત સાસરિયાના લોકો એક વાત માનવા તૈયાર નહોતા અને પરિણીતા પર અત્યાચાર કરતા રહ્યા. આ મામલો છે અમદાવાદના ઇસનપુરનો. ચાલો જાણીએ શું છે આખો મામલો.

32 વર્ષીય યુવતી પરિવાર સાથે નિકોલમાં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ફેબ્રુઆરી 2023માં તેની કંપનીમાં કામ કરતા યુવક સાથે તેના ત્રીજા લગ્ન થયા હતા. લગ્ન બાદ તે નિકોલમાં સાસરે રહેવા જતી રહી હતી. અને લગ્નના 9 મહિના બાદ પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો. જેથી પતિ સહિત સાસરિયાના લોકોના મનમાં વહેમ ભરાયો કે આ બાળક કોઇ બીજાનું છે અને ‘આ બાળક અમારું નથી’ કહીને માર મારતા હતા. જેથી પરિણીતાએ બાળકનું DNA પરીક્ષણ કરાવ્યું હતું. તેના રિપોર્ટમાં પણ બાળક તેના પતિનું જ હોવાનું સામે આવ્યું હતું. છતા સાસરિયાના લોકો માનવા તૈયાર નહોતા અને પતિ સહિત બધા ભેગા મળીને પરિણીતા પર અત્યાચાર કરી રહ્યા હતા.
આ ઉપરાંત પતિ સહિત સાસરિયાના લોકો પરિણીતાને કરિયાવર બાબતે મેણા-ટોણા મારતા અત્યાચાર કરી રહ્યા હતા. તેઓ પરિણીતાને તેના ઘરે મૂકી ગયા હતા. જેથી સમાધાન માટે પરિણીતાના પિતાએ જમાઈ સહિત બધાને બોલાવ્યા હતા, પરંતુ કોઈ સમાધાન ન થયું અને પરિણીતાના પિતાને પણ મા*ર માર્યો હતો. કંટાળીને પરિણીતાએ પતિ, સાસુ, નણંદ અને જેઠ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

