પોલીસનું જાહેરનામું રાત્રે 12 વાગ્યા પછી માઇક-સ્પીકર બંધ કરી દેવા, ગૃહમંત્રીએ કહ્યું- મોડી રાત સુધી રમી શકશો

આજથી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે. ખેલૈયાઓ મન મૂકીને થનગનાટ કરશે. આ ઉત્સવ માટે તો મહિનાઓ પહેલાથી ખેલૈયાઓની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. એક તરફ વરસાદ વિલન બને તેવું પણ લાગી રહ્યું છે તો બીજી તરફ ખેલૈયાઓ માટે  સારા સમાચાર આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે તેવી જાહેરાત કરી છે. આ સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોની ચીમકી પણ આપી છે. જો કે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે કે, 12 વાગ્યા સુધી જ સ્પીકર વગાડવા અને પછી અવાજ કરવો નહીં. પણ દર વર્ષે આવી રીતે જાહેરનામું હોય છે, પણ મોડે સુધી ગરબા ચાલતા હોય છે, એ પણ સત્ય છે. હર્ષ સંઘવીએ પરોક્ષ રીતે આ વાત કરી છે કે, કોઈને ખલેલ ન પહોંચે તો કોઈને હેરાનગતી કરવાની નથી. એટલે પોલીસ તમને બંધ કરાવવા નહીં આવે એ પાક્કું છે.

navratri2
english.loktej.com

તેમણે કહ્યું કે, મા અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી, મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી. આ ગુજરાતની ધરતી પર મા અંબાની ભક્તિ કરનાર લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે પૂરી વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે. સૌ નાના-નાના વેપારીઓ, જે શહેરોમાં, જિલ્લાઓમાં દિવસ-રાત મહેનત કરીને વ્યક્તિઓ નાની-મોટી વસ્તુઓ બનાવતા હોય છે કે આ પછી ખાણી-પીણીના સ્ટોલ ચલાવતા હોય છે. આ હજારો-લાખો પરિવારો માટે નવરાત્રિ જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે પણ ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે.

harsh-sanghavi1
english.loktej.com

હર્ષ સંઘવીએ કહ્યું કે, મારા રાજ્યના નાના-નાના વેપારીઓ આ નવ દિવસમાં ખૂબ સારી રીતે તેમનો ધંધો કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે-સાથે આ વખતે વિશેષ નવરાત્રિ છે કેમ કે મા અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના નારા જોડે દેશ આખો કંઈક અલગ જ મૂડમાં દેખાઈ રહ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રિના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમનાર, ગરબા રમવા આવતી મારી બહેન, ભાઈઓ અને પરિવારજનોની જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરશે.

વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ઢીલ ચલાવી લેવામાં નહીં આવે. કોમર્શિયલ ગરબા માટે તેમણે બધી જ વ્યવસ્થાઓ પૂરી કરવાની રહેશે અને સાથે-સાથે આપણા રાજ્યની સંસ્કૃતિ મા અંબાના ગરબા અને ત્યારે કોઈ પણ પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તેવી ઘટના કે આ પ્રકારના ગીતો ચલાવી લેવામાં નહીં આવે. આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવાની જવાબદારી આપણી છે. આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખેલૈયાઓ પૂરા મનથી ગરબા રમી શકે તેવી વ્યવસ્થાઓ આપણે સૌ લોકો સાથે મળીને કરશું.

સૌ લોકો પૂરી શક્તિથી, પૂરી ઉર્જાથી ગરબા રમવા જાવ. કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી. આ બધી જ સમયની વ્યવસ્થાઓ આપણે લોકો કરી રહ્યા છે, પરંતુ મારી બધી જ બહેન-દીકરીઓને ખાસ કરીને વિનંતી છે કે કોઈ પણ જગ્યા પર નાની એવી પણ તકલીફ તમને નજરે પડે, તમે એક્ટિવામાં ગયા છો અને રસ્તામાં એક્ટિવા બંધ પડી ગયું અને હવે ઘરે કઈ રીતે પહોંચશો, તમારી બધાની જ સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે. કોઈ પણ તકલીફ પડે, તમને માત્ર એટલી જ વિનંતી છે કે વિચાર કર્યા વિના 112 પર એક વખત માત્ર જાણકારી આપી દો. જેથી અમે ઝડપથી તમારી મદદ માટે ત્યાં પહોંચી શકીએ. આપણે સૌ જ્યાં જઈએ છે, તે માતા-પિતા, પરિવારજનો અને આપણા મિત્રોને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. એ જ પ્રકારે આપણે લોકોએ સંપૂર્ણ વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓમાં કોઈ પણ ગેરવ્યાજબી લોકો એ ફાયદો ના લઇ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે અમે ગોઠવી છે. એટલા માટે આપ સૌને વિનંતી છે કે આ વ્યવસ્થાઓમાં વધુમાં વધુ આપ સૌ લોકો મદદ કરજો.

તો નવરાત્રિની શરૂઆતના અવસર પર  ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતીઓને શુભેચ્છા આપવાનું ચૂંકી જાય એવું તો કઈ રીતે બની. તેમણે X પર ટ્વીટ કરીને આ નવરાત્રિની શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે, ‘નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ! શક્તિ, ભક્તિ અને આનંદનું આ પાવન પર્વ આપ સૌના જીવનમાં નવો ઉમંગ, ઉત્સાહ અને સુખ સમૃદ્ધિ લાવે એવી મા અંબા પાસે પ્રાર્થના.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.