- Gujarat
- છઠ્ઠુ ભણતી દીકરીનો PMને પત્ર, સ્કૂલોને હોમવર્કમુક્ત કરો, સ્કૂલમાં દફતર માટે લોકર બનાવો
છઠ્ઠુ ભણતી દીકરીનો PMને પત્ર, સ્કૂલોને હોમવર્કમુક્ત કરો, સ્કૂલમાં દફતર માટે લોકર બનાવો
આપણે ઘણી વખત જોઇએ છીએ કે નાના-નાના બાળકો ભારે-ભારે દફ્તર ઊંચકીને લઈ જતા હોય છે, કેટલાક બાળકો તો વજન પણ ઊંચકી શકતા હોતા નથી અને જેમ-તેમ બેગ લઈ જતા હોય છે. ઉપરાંત અત્યારે તો બાળકોના નાનપણથી જ ટ્યૂશન ગોઠવી દેવાય છે, જેના કારણે બાળકને રમવાની તક જ મળતી નથી અને સ્કૂલ છૂટ્યા બાદ તરત જ ટ્યૂશન અને ટ્યૂશનથી આવીને ઘરે, ઘરે આવીને ગૃહકાર્ય પતાવવાનું.
સામાન્ય રીતે નાની ઉંમરના બાળકોનું મોટાભાગનું બાળપણ રમત-ગમતમાં વિતવું જોઈએ, પરંતુ હવે આવું દેખાઈ રહ્યું નથી, બાળકો પર ભણતરનો એક મસમોટો ભાર થોંપી દેવામાં આવે છે અને તેમને ભાગ-દોડ ભરી જિંદગીમાં સામેલ કરી દેવામાં આવે છે અને તેમનું બાળપણ આમ જ વીતી જાય છે ત્યારે શાળાઓમાં સાચા અર્થમાં ભાર વિનાનું ભણતર પૂરું પાડવા રાજકોટની 12 વર્ષની દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પિતાતુલ્ય તરીકે સંબોધી આ દીકરીએ સૂચન કર્યું છે. આ દીકરીનું નામ ધ્રિષ્યા બુદ્ધદેવ છે, જે હાલમાં છઠ્ઠા ધોરણમાં ભણી રહી છે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રમાં લખ્યું કે..
વંદે માતરમ
વિષય: ભણતરની પદ્ધતિમાં પરિવર્તનનું સૂચન મારા પિતાતુલ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
નમસ્કાર…
ઘરના વડીલો પાસેથી તેમના બાળપણની વાતો સાંભળીને મને આશ્ચર્ય થાય છે અને એવો વિચાર આવે છે કે શું બાળપણ આટલું સરસ પણ હોય શકે છે? અમારા જીવનમાંથી તો બાળપણનો શબ્દ જ જાણે ગાયબ થઈ ગયો છે!!
મારું નામ ધ્રિષ્યા હર્ષદભાઈ બુદ્ધદેવ છે અને હું ગુજરાતના મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. મને ભણવું ખૂબ જ ગમે છે અને ગમવું પણ જોઈએ. હું મારી શાળાને ખૂબ પ્રેમ કરું છું, પણ મારી જે વાત છે એ એવી છે કે આજના ભણતરથી બાળપણ જાણે ખતમ થઈ ગયું છે.ભણતરના ભાર નીચે બાળપણ દબાઈ ગયું છે.
મજબૂત રાષ્ટ્રના વિકાસ માટે આવનારી પેઢી ખૂબ મહત્ત્વની છે અને એ પેઢીના વ્યક્તિત્વનો વિકાસ જ ભણતરના દબાણમાં અટકી ગયો છે. હું માત્ર મારી શાળા વિશે જ નહીં, પરંતુ આજે સમગ્ર દેશમાં જે સમસ્યા છે તેના પર વાત કરી રહી છું. શાળામાં 5-6 કલાક સુધી અભ્યાસ કરતું બાળક ઘરે આવ્યા બાદ ટ્યૂશન અને હોમવર્કને લીધે પોતાનું બાળપણ જ ભૂલી ગયું છે. જ્યારે તમે વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા હોય ત્યારે હું તમારી દીકરી તરીકે તમને એટલુ સૂચન આપવા માંગુ છું કે સમગ્ર દેશની તમામ શાળાઓ ‘હોમવર્ક મુક્ત’ થવી જોઈએ. અને હા, એક વાત તો રહી જ ગઈ, અમારા વજન કરતા તો વધુ વજન અમારી શાળાના ‘દફતર’નું વજન છે! જ્યારે તમે ભાર વિના ભણતરની કલ્પના કરતા હોય તો ત્યારે શાળાના દફતરનું ભાર હળવું કરવાની સાથે દરેક શાળામાં ‘લોકર’ની વ્યવસ્થા કરવામાં આવે જેથી અમે અમારું દફતર અને પાઠ્યપુસ્તકો તેમાં જ મૂકીને કોઈ ભારે વજન વગર આરામથી ઘરે જઈ શકીએ.
આમારા જેવી નાની બાળકીઓની આ અપેક્ષા નિરર્થક તો નહીં જાય ને? તમે અમારા વિષે કંઇક વિચારશો ને? તમે અમારી મદદ કરશો ને? તમારી આ દીકરીને તમારા પત્ર અને તમારા જવાબની આતુરતા રહેશે.
લિ.ધ્રિષ્યા હર્ષદભાઈ બુદ્ધદેવ
ધ્રિષ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવાને લઈને જણાવ્યું કે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કારણ કે, તેઓ મારા પિતાતુલ્ય છે. મને એવું લાગે છે કે આ લેટર તેમની પાસે પહોંચશે અને તેનો ઉકેલ આવશે. હાલ દરેક સ્કૂલોમાં ઘણું બધું હોમવર્ક અને પ્રેશર આપવામાં આવે છે. ઘણી બધી બુક્સ હોય છે, જેને કારણે સ્કૂલ બેગનું વજન ખૂબ જ ભારે હોય છે. જેથી મારો એવો વિચાર છે કે, દરેક સ્કૂલમાં એક લોકર હોવું જોઈએ. જેથી અમે અમારું બેગ તેમાં રાખી શકીએ અને હળવાશથી ભણી શકીએ.
તેણે વધુમાં કહ્યું કે, શાળાઓમાં દરેક વિદ્યાર્થીઓને પ્રેશર આપવામાં આવે છે અને વાલીઓએ તે પ્રેશર સ્વીકારી લીધું છે. જેના લીધે અમારું બાળપણ છીનવાઈ રહ્યું છે. જેથી હું વાલીઓને પણ વિનંતી કરું છું કે, તેમના બાળકોને થોડું ઓછું પ્રેશર આપવું જોઈએ અને વાલીઓ સ્કૂલમાં પણ કહે કે તેમના બાળકોને આટલું બધું પ્રેશર અને હોમવર્ક આપવામાં ન આવે. હું મારા જેવડા બાળકો અને વિદ્યાર્થીઓને કહું છું કે આ જ રીતે તમામ બાળકો વડાપ્રધાનને પત્ર લખે અને મારા અભિયાનમાં જોડાય.
12 વર્ષીય ધ્રિષ્યા બુદ્ધદેવના પિતાનું નામ હર્ષદભાઈ બુદ્ધદેવ છે. જેઓ બિઝનેસમેન છે અને તેના માતાનું નામ બિંદુબેન છે. જે ગૃહિણી છે. ધ્રિષ્યા ધોરણ-5માં 96 ટકા લાવી હતી. તે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં CBSE અભ્યાસ કરે છે અને તેને પેઇન્ટિંગનો શોખ છે. ધ્રિષ્યાનું સપનું ભવિષ્યમાં IPS/IAS ઓફિસરનું છે.

