- National
- કોણ છે IAS પામેલા સત્પથી? જેમણે કર્યું કંઈક એવું કામ કે તેલંગાણાના CMથી લઈને દરેક કરી રહ્યું છે પ્રશ...
કોણ છે IAS પામેલા સત્પથી? જેમણે કર્યું કંઈક એવું કામ કે તેલંગાણાના CMથી લઈને દરેક કરી રહ્યું છે પ્રશંસા
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કરીમનગર જિલ્લા કલેક્ટર પામેલા સત્પથી (IAS પામેલા સત્પથી)ની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. મુખ્યમંત્રીએ કરીમનગરના કલેક્ટર પામેલા સત્પથીને અભિનંદન આપ્યા છે. તેઓ શ્વાસ લેવાની સમસ્યાથી પીડિત હતા અને તેમણે સરકારી હૉસ્પિટલમાં સર્જરી કરાવીને એક ઉદાહરણ રજૂ કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેનાથી લોકોમાં સરકારી હોસ્પિટલો પ્રત્યે ભરોસો વધ્યો છે. આરોગ્ય મંત્રી દામોદર રાજનરસિંહાએ પણ તેમની પ્રશંસા કરી. આ અગાઉ પણ IAS પામેલા સત્પથીએ આંગણવાડીઓ અને સરકારી શાળાઓના વિકાસ માટે કામ કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે તેમના નિર્ણયથી સાર્વજનિક આરોગ્ય વ્યવસ્થા મજબૂત થશે અને લોકોને ગુણવત્તાયુક્ત ચિકિત્સા સેવાઓ મેળવવાનું પ્રોત્સાહન મળશે.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, સરકારી હૉસ્પિટલોમાં આધુનિક સુવિધાઓ, અનુભવી ડૉક્ટર અને સેવાભાવી કર્મચારી છે. હવે એ વિશ્વાસ હોવો જરૂરી છે કે સરકારી હૉસ્પિટલોમાં સારી ચિકિત્સા સેવાઓ મળે છે. મુખ્યમંત્રીએ X (ટ્વીટર) પર લખ્યું કે, હું કરીમનગર જિલ્લા કલેક્ટર પામેલા સત્પથીને અભિનંદન આપું છું. જેમણે સરકારી હૉસ્પિટલમાં સારવાર કરાવીને લોકોમાં આ વિશ્વાસ જગાડ્યો છે.
IAS પામેલા સત્પથીએ કેટલાક સમયથી શ્વાસ લેવામાં પરેશાની અને માથાના દુઃખાવાની ફરિયાદ કરી હતી. તેમને સાઇનસની પરેશાની પણ હતી. રવિવારે સવારે તેમને કરીમનગરની સરકારી જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તપાસ બાદ જણાવ્યું કે, તેમના નાકમાં હાડકું વધી ગયું છે. તેના માટે સર્જરીની જરૂર છે. ENT (કાન, નાક, ગળા) સર્જનોની ટીમે તેમની એન્ડોસ્કોપી નાકની સર્જરી અને સેપ્ટોપ્લાસ્ટી સર્જરી સફળતાપૂર્વક કરી.
જિલ્લા કલેક્ટર જેવા ઉચ્ચ પદ પર બેઠા સરકારી અધિકારીએ ખાનગી હૉસ્પિટલમાં જવાની જગ્યાએ સરકારી હૉસ્પિટલમાં સારવાર લીધી તે ખૂબ જ અસામાન્ય અને પ્રશંસનીય છે. તેનાથી સરકારી આરોગ્ય સુવિધાઓમાં લોકોનો વિશ્વાસ વધશે. જે મોટા ભાગે ઓછો હોય છે. આરોગ્ય મંત્રી દામોદર રાજનરસિંહાએ પણ કલેક્ટર પામેલા સત્પથીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે તેમનું આ પગલું સરકારી હૉસ્પિટલોની ક્ષમતા દર્શાવે છે. તેમણે ENT ડૉક્ટરોની ટીમને પણ અભિનંદન આપ્યા અને કલેક્ટરને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની ટ્વીટ વાયરલ થયા બાદ, ઘણા લોકોએ કલેક્ટરને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી.
કોણ છે IAS પામેલા સત્પથી?
પામેલા સત્પથી એક IAS અધિકારી છે અને તેમણે હંમેશાં પોતાના કામ પ્રત્યે સમર્પણ અને લોકોની સેવા કરવાની ભાવના બતાવી છે. જ્યારે તેઓ યાદાદ્રી જિલ્લાના કલેક્ટર હતા, ત્યારે તેમણે તેમના પુત્રને આંગણવાડી કેન્દ્રમાં દાખલ કરાવ્યો હતો. તેમણે આંગણવાડીઓ મજબૂત કરવા, સરકારી શાળાઓ સારી કરવા અને મહિલાઓના સ્વાસ્થ્ય માટે ‘શુક્રવાર સભા’ જેવા કાર્યક્રમ પણ શરૂ કર્યા. જિલ્લા કલેક્ટર તરીકે, તેઓ લોકો સુધી પહોંચવા અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરે છે. તેઓ સરકારી હૉસ્પિટલોને સ્વચ્છ રાખવા અને ચિકિત્સા સેવાઓ સુધારવા માટે પણ કામ કરી રહ્યા છે.
IAS પામેલા સત્પથીએ હવે સરકારી હૉસ્પિટલમાં સર્જરી કરાવીને બતાવ્યું છે કે તેમને સરકારી આરોગ્ય સેવાઓ સુધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં પર કેટલો વિશ્વાસ છે. આ બતાવે છે કે તેલંગાણા સરકાર લોકોના સ્વાસ્થ્યને કેટલી પ્રાથમિકતા આપે છે અને સરકારી સ્વાસ્થ્ય પ્રણાલીને મજબૂત કારવા માગે છે. આવા પગલાંથી સરકારી હૉસ્પિટલોમાં લોકોનો વિશ્વાસ વધશે અને વધુ લોકો સારી ચિકિત્સા સેવાઓ માટે ત્યાં જશે.

