- Offbeat
- લખનઉ-દિલ્હી ઇન્ડિગો વિમાનની અંદર મચ્છરો ઘુસી ગયા! મુસાફરો-ક્રૂ મેમ્બરો મુશ્કેલીમાં મુકાયા
લખનઉ-દિલ્હી ઇન્ડિગો વિમાનની અંદર મચ્છરો ઘુસી ગયા! મુસાફરો-ક્રૂ મેમ્બરો મુશ્કેલીમાં મુકાયા

લખનઉથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટના મુસાફરો માટે પુરી મુસાફરી ખંજવાળવામાં જ ગઈ. મચ્છરોનું એક ઝુંડ ફ્લાઇટમાં ઘૂસી ગયું અને ક્રૂ મેમ્બરોએ તેમને ભગાડવા માટે કંઈ ખાસ કર્યું નહીં. મુસાફરોને આખી મુસાફરી દરમિયાન મચ્છરોનો સામનો કરવો પડ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયો અને લોકોના અનુભવોએ આ ઘટના પ્રકાશમાં લાવી. એક યુઝરે X પર લખ્યું, 'લખનઉથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં મચ્છરોનું આખું ઝુંડનો ભરાવો થઇ ગયો હતો. આખી મુસાફરી ખંજવાળવામાં, મચ્છરોને ભગાડવામાં અને આ મુસાફરી જલ્દી પુરી થાય તે માટે પ્રાર્થના કરવામાં પસાર થઈ.' મુસાફરોએ મચ્છરોથી બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં.

જ્યારે મુસાફરોએ ક્રૂ પાસેથી મદદ માંગી, ત્યારે તેમનો પ્રતિભાવ નિરાશાજનક હતો. ક્રૂએ કહ્યું, 'દરવાજો ખુલ્લો હતો, મચ્છર અંદર આવ્યા, કંઈ કરી શકાયું નહીં.' ક્રૂએ લેમનગ્રાસ પેચ વહેંચ્યા પરંતુ લોકોના મતે, આની કોઈ અસર થઈ નહીં. કોઈ નક્કર ઉકેલ ન આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. લોકોએ એરલાઇનની નબળી સ્વચ્છતા અને સેવા પર ગુસ્સો વ્યક્ત કર્યો. યુઝરે લખ્યું, 'અમે ટિકિટ માટે 4,000 રૂપિયાથી વધુ ચૂકવ્યા. તે સસ્તું નથી પણ સેવા નબળી છે.' તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, મોંઘી ટિકિટો છતાં મૂળભૂત સ્વચ્છતા અને સેવા કેમ પૂરી પાડવામાં આવતી નથી. મનીષાએ એરલાઇન અને એરપોર્ટની બેદરકારીને પણ જવાબદાર ઠેરવી હતી.

આ કોઈ નવી સમસ્યા નથી. યુઝરની વાયરલ પોસ્ટ પર, ઘણા લોકોએ કહ્યું કે ઇન્ડિગો ફ્લાઇટ્સમાં અગાઉ પણ મચ્છરોની ફરિયાદો મળી છે. X પર લોકો 'મચ્છરોનો આતંક' જેવા લેખોનો ઉલ્લેખ કરી રહ્યા છે. મુસાફરોનું કહેવું છે કે, એરલાઇન સમસ્યાને અવગણી રહી છે. યુઝરે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને ટેગ કર્યું અને આ બાબતે કાર્યવાહીની માંગ કરી. તેમણે કહ્યું, 'એરલાઇન્સને કોઈ પરવા નથી, એરપોર્ટના સંસાધનો આને નિયંત્રિત કરી શકતા નથી, અને મુસાફરોને ચૂપચાપ સહન કરવું પડે છે.' મંગળવાર બપોર સુધી, DGCA તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

પોસ્ટ વાયરલ થતાં જ, ઇન્ડિગોએ આ બાબતે પ્રતિક્રિયા આપી અને કહ્યું, 'અમે આ મુદ્દાને ઉકેલવા માટે એરપોર્ટ સાથે વાત કરી રહ્યા છીએ. અમે દરેક સાવચેતી રાખીએ છીએ, પણ અમને આશા છે કે તમે સમજશો કે મચ્છર ખુલ્લા દરવાજામાંથી પણ પ્રવેશી શકે છે.'
https://twitter.com/MnshaP/status/1914217594170585177
ઊંચા ભાડા પર મુસાફરી કરતા મુસાફરોને જ્યાં સુવિધાઓ મળવી જોઈએ ત્યાં સુવિધાઓ મળવાને બદલે મચ્છરોથી સંઘર્ષ કરવો પડી રહ્યો છે. મુસાફરોમાં આ વધી રહેલા અસંતોષ પર ન તો એરલાઇન્સ કોઈ નક્કર પગલાં લઈ રહી છે અને ન તો એરપોર્ટ વહીવટીતંત્ર આ અંગે ગંભીર દેખાતું નથી.