- Politics
- અગાઉ વિજય રૂપાણી, હવે અજિત પવાર, વિમાન દુર્ઘટનામાં આ નેતાઓએ જીવ ગુમાવ્યા
અગાઉ વિજય રૂપાણી, હવે અજિત પવાર, વિમાન દુર્ઘટનામાં આ નેતાઓએ જીવ ગુમાવ્યા
આજે વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 7 મહિનામાં આ બીજી વખત છે જ્યારે કોઈ મોટા નેતાએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂન 2025માં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. ભારતીય ઇતિહાસમાં 7 મોટા નેતાઓ વિમાન અથવા હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવી ચૂક્યા છે. આમાંથી 3 મુખ્યમંત્રી પદ સંભાળી ચૂક્યા હતા.
કયા-કયા નેતાઓએ વિમાન/હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા?
બળવંતરાય મહેતા- તેઓ 1963 થી 1965 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. 1965ના યુદ્ધ દરમિયાન, મહેતા કચ્છના રણ ઉપર નિરીક્ષણ માટે વિમાનમાં ઉડાણ ભરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાને તેમનું વિમાન તોડી પાડ્યું હતું. આ દુર્ઘટનામાં જીવરાજ મહેતા, મહેતાના પત્ની, તેમના 3 કર્મચારીઓ, એક પત્રકાર અને 2 ક્રૂ સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. મહેતા પહેલા રાજકારણી હતા, જેમણે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો.
સંજય ગાંધી- 23 જૂન 1980ના રોજ, કોંગ્રેસના તત્કાલિન સાંસદ સંજય ગાંધી દિલ્હીમાં વિમાન ઉડાવવા નીકળ્યા હતા. સંજયને વિમાન ઉડાવવાનો શોખ હતો. તેઓ સવારે 10:00 વાગ્યે વિમાન લઈને ઉડ્યા, ત્યારે એક સ્ટંટ કરતી વખતે તેમનું વિમાન ક્રેશ થઇ ગયું. સંજયની સાથે તેમના સહ-યાત્રીસુ ભાષ સક્સેનાએ પણ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.
માધવરાવ સિંધિયા- કોંગ્રેસના કદાવર નેતા માધવરાવ સિંધિયાએ પણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. 30 સપ્ટેમ્બર, 2001ના રોજ, સિંધિયા કાનપુરમાં એક રેલીમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું વિમાન મૈનપુરીના મોટાગાંવ નજીક ક્રેશ થઇ ગયું. આ અકસ્માતમાં સિંધિયાએ જીવ ગુમાવ્યો હતો. તે સમયે સિંધિયા 56 વર્ષના હતા.
જી.એમ.સી. બાલયોગી- ગંતી મોહન ચંદ્ર બાલયોગીએ લોકસભાના સ્પીકર પદ પર રહેતા જીવ ગુમાવ્યો હતો. બાલયોગીએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. વર્ષ 2002માં, આંધ્ર પ્રદેશમાં એક કાર્યક્રમમાં જવા દરમિયાન તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. બાલયોગીના સુરક્ષા અધિકારી, ડી. સત્ય રાજુ, અને પાયલોટ, કેપ્ટન જી.વી. મેનને ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા.
વાય. રાજશેખર રેડ્ડી- આંધ્ર પ્રદેશમાં વર્ષ 2009માં વધુ એક દુર્ઘટના બની હતી. આ વખતે મુખ્યમંત્રી વાય. રાજશેખર રેડ્ડી ભોગ બન્યા હતા. સપ્ટેમ્બર 2009માં, રેડ્ડી તેમના અધિકારીઓ સાથે આંધ્ર પ્રદેશના નલ્લામાલા પ્રદેશમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. ઘણા મીડિયા આઉટલેટ્સે દાવો કર્યો હતો કે નક્સલીઓએ તેમનું હેલિકોપ્ટર તોડી પાડ્યું હતું. જોકે, તે સમયે સરકારે આ દાવાને ફગાવી દીધો હતો.
દોરજી ખાંડુ- અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુએ પણ 2011માં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. તે સમયે ખાંડુ 56 વર્ષના હતા. ખાંડુ તવાંગથી રાજધાની ઇટાનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમનું વિમાન ગુમ થઈ ગયું હતું.
વિજય રૂપાણી- 12 જૂન, 2025ના રોજ, અમદાવાદથી ઉડાણ ભર્યા બાદ થોડી જ સેકન્ડોમાં જ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થઇ ગયું હતું. વિજય રૂપાણી પણ તેમાં હતા. રૂપાણી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા. સાંજે જ્યારે મૃતકોની યાદી જાહેર કરવામાં આવી ત્યારે તેમાં વિજય રૂપાણીનું નામ પણ સામેલ હતું. રૂપાણી તેમના પરિવારને મળવા લંડન જઈ રહ્યા હતા.

