- Entertainment
- રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરી આવી રહી છે,જાણો ક્યાં અને ક્યારે ટેલિકાસ્ટ થશે?
રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરી આવી રહી છે,જાણો ક્યાં અને ક્યારે ટેલિકાસ્ટ થશે?

એક એવી કહેવત છે કે એકનું નુકશાન,એ બીજાનો લાભ હોય શકે છે.આદિપુરુષ જેવી રૂ. 600 કરોડની ફિલ્મની આકરી ટીકા થઈ તો લોકોએ રામાનંદ સાગરની સિરિયલ રામાયણને પ્રેમથી યાદ કરી. આ સિરિયલ ટીવી પર પાછી ફરી રહી છે. જાણો તમે તેને ક્યારે અને ક્યાં જોઈ શકો છો...
પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ અને સૈફ અલી ખાન અભીનિત ‘આદિપુરુષ’ 16 જૂને સિનેમાઘરોમાં રજૂ થઇ હતી. આ ફિલ્મને અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી હતી, પરંતુ નિમ્ન સ્તરના સંવાદો, ખરાબ VFX અને સ્કીન પર હિંદુ દેવી-દેવતાઓના વિવાદીત રંગરૂપને કારણે ફિલ્મ વિવાદોમાં સપડાઇ ગઇ હતી.
વિવેચકો અને દર્શકોએ તરત જ ફિલ્મને નકારી કાઢી. વર્ષો પહેલા દૂરદર્શન પર રીલીઝ થયેલી રામાનંદ સાગરની સીરીયલ રામાયણ સામે આદિપુરુષ કંઈ નથી એ વાત પહેલા જ દિવસથી જ ખબર પડી ગઈ હતી કે એ જ સિરિયલ ફરી જોવી સારું. ઘણા લોકો માંગ કરવા લાગ્યા કે રામાયણનું ટીવી પર ફરીથી પ્રસારણ શરૂ કરવું જોઈએ.
હવે સમાચાર સામે આવ્યા છે કે રામાનંદ સાગરની આ સીરિયલ, રામાયણ ફરી એકવાર ટીવી પર આવી રહી છે. 1987-88માં દુરદર્શન પર પ્રસારિત થયેલી આ ધારાવાહિક રામાયણને પ્રજાની માંગને કારણે કોરોના મહામારીના સમયમાં પણ દુરદર્શન પરથી સત્તાવાર પ્રસારિત કરવામાં આવી હતી.
આદિપુરુષના વિવાદ વચ્ચે નિર્માતા ફરી રામાયણને ટીવી પર લાવી રહ્યા છે. જો કે આ વખતે આ સીરિયલ દુરદર્શન પર નહીં, પરંતુ શેમારું ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. રામાયણ 3 જુલાઇથી સોમવારથી શનિવાર દરરોજ સાંજે 7-30 વાગ્યે પ્રસારિત થશે.
રામાનંદ સાગરની આ રામાયણમાં અરૂણ ગોવિલે ભગવાન રામ અને દીપિકા ચિખલિયાએ સીતાની ભૂમિકા નિભાવી હતી. જ્યારે રાવણ તરીકે અરવિંદ ત્રિવેદી અને હનુમાનનું પાત્ર દારાસિંહે નિભાવ્યું હતું.
શેમારું ટીવી એ ફ્રી ટુ એર ચેનલ છે, એના માટે દર્શકોએ કોઇ ચાર્જ ચુકવવાનો નથી. એરટેલ અને ટાટા જેવા પ્રોવાઇડર્સ પણ તેને બતાવે છે. એરટેલ શેમારુ 133 અને ટાટા સ્કાય 181 નંબર પર જોઇ શકાશે. ડિશ ટીવી પર 172 નંબર પર ઉપલબ્ધ છે. વીડિયોકોન પર 123, ડેન પર 116 અને DD ફ્રિ ડીસ પર 28 નંબર પર જોઇ શકશો.
રામાયણ સીરિયલના પાત્રોએ લોકોના દિલોદિમાગ પર ઘેરી અસર ઉભી કરી હતી. અરૂણ ગોવિલ અને દીપિકા ચીખલીયાને લોકો ખરેખર રામ અને સીતા માનીને પૂજતા હતા.