- Gujarat
- રાજકોટમાં નિર્ભયા જેવી ઘટના, 3 બાળકોના પિતાએ 6 વર્ષની બાળકી સાથે બળજબરી કરી, ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડ...
રાજકોટમાં નિર્ભયા જેવી ઘટના, 3 બાળકોના પિતાએ 6 વર્ષની બાળકી સાથે બળજબરી કરી, ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી દીધો
રાજકોટ જ નહીં, પરંતુ આખા ગુજરાતને શરમસાર કરે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને તો ભલભલાના રૂવાડા ઊભા થઈ જાય અને દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડની યાદ આવ્યા વિના ન જ રહે તેવી આ ઘટના છે.
જસદણના આટકોટમાં દિલ્હીમાં 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ થયો હતો. જો કે, આરોપી સફળ ન થયો તો તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી દીધો હતો. આ ઘટના બાદ બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી 100 જેટલા શંકાસ્પદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓમાંથી મુખ્ય આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આટકોટ પોલીસ સ્ટેશન હેઠળના એક ગામ નજીક વાડીમાં દાહોદ જિલ્લાનો એક શ્રમિક પરિવાર ખેતમજૂરી કરે છે. 4 ડિસેમ્બરે પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમની 6 વર્ષ અને 8 મહિનાની બાળકી ત્યાં રમી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યો ઇસમ બાળકીને ઉપાડી ગયો અને તેના પર હેવાનિયતની હદ વટાવી હતી.
આરોપીએ બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાળકીએ બૂમાબુમ કરતા તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘૂસાડી દીધું, જેના કારણે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી. ઘટનાને અંજામ આપી આરોપી બાળકીને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો.
પરિવારે બાળકીની શોધખોળ શરૂ કરતા તે નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. બાળકીની ગંભીર હાલત જોઈ પરિવાર તેને તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ લઈ ગયો હતો. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. જનાના હોસ્પિટલના સુત્રોના જણાવ્યા મુજબ, હાલમાં બાળકીની તબિયત સ્થિર છે. અને આગામી 2-3 દિવસમાં રિકવર થયા બાદ રજા આપી દેવામાં આવે તેવી શક્યતા છે.
આ સમગ્ર ઘટના અંગે રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પોલીસે 10 જેટલી ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. 100 જેટલા શંકાસ્પદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓને ચાઈલ્ડ એક્સપર્ટને સાથે રાખીને બાળકી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં બાળકીએ મુખ્ય આરોપી 30 વર્ષીય રામસિંગ તેરસીંગને ઓળખી જતા પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી મધ્ય પ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે. આ આરોપી પણ અહીં આટકોટમાં ભાગીયા તરીકે કામ કરે છે. આરોપી પરણિત છે અને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે. આ ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપી સિવાય અન્ય કોઈ આરોપી નથી. જે ખેતરમાં બનાવ બન્યો તેની બાજુના ખેતરમાંથી આરોપીને ડિટેન કરવામાં આવ્યો છે.
આ ઘટના સામે આવતા કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા હતા અને આરોપીને પકડવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, જો કે આરોપી પકડાઈ ગયો છે.

