- Gujarat
- વડોદરાની જેમ સુરતમાં મગરોનું સામ્રાજ્ય, આ 2 વિસ્તારમાં જોવા મળ્યા, માછીમારી કરતી બોટ પર ચડી ગયા
વડોદરાની જેમ સુરતમાં મગરોનું સામ્રાજ્ય, આ 2 વિસ્તારમાં જોવા મળ્યા, માછીમારી કરતી બોટ પર ચડી ગયા
સ્થાનિકો દ્વારા સુરતના ફુલપાડા અને અમરોલી વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં 4-5 વિશાળકાય મગરો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. નદીના પાણીમાં અને કિનારાની આસપાસ આંટા મારતા આ મગરોને કારણે સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નદીમાં અચાનક આટલી મોટી સંખ્યામાં મગરો જોવા મળતા કિનારાના વિસ્તારોમાં વસતા લોકોની સુરક્ષા સોમે મોટો સવાલ ઊભો થયો છે.
https://www.facebook.com/watch/?v=465635058905859
દિવયભાસ્કરના અહેવાલ મુજબ, માછીમારી કરવા ગયેલા માછીમારોની નાની નાવડી પર એક મગરનું બચ્ચું ચડી ગયું હતું. મનોજભાઈ ઉર્ફે રાજાભાઈએ જણાવ્યું કે, નદીમાં રોજની જેમ બે માણસો બેસી શકે તેવી નાની નાવડી લઈને માછીમારો માછલી પકડવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક જ નદીના પાણીમાંથી આશરે બેથી અઢી ફૂટનો એક મગર નાવડીની ઉપર ચડી આવ્યો હતો. બોટ પર અચાનક મગરને જોઈને નાવડીમાં સવાર માછીમારોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, માછીમારોએ સમયસૂચકતા વાપરીને મગરને ત્યાંથી ભગાડ્યો હતો, જેથી તે પાછો પાણીમાં સરકી ગયો હતો.
નદીમાં મગરોના આ મુક્ત વિહાર અને આતંકના લાઈવ દૃશ્યો પણ કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. રાજાભાઈના જણાવ્યા મુજબ, તેમના જ એક માણસે નદી કિનારેથી આશરે 25-30 ફૂટ જેટલા સુરક્ષિત અંતરે ઊભા રહીને આ મગરનો લાઈવ વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં મગર નદીના પાણી અને કિનારાની આસપાસ હલચલ કરતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા અને સ્થાનિક ગ્રુપોમાં ભારે વાયરલ થઈ રહ્યો છે, જે તાપી નદીમાં મગરોની હાજરીના પુરાવા છે. આ વીડિયો સામે આવ્યા બાદ વન વિભાગ અને તંત્ર પણ હરકતમાં આવે તેવી માંગ ઉઠી છે.
આ આખી ઘટના અંગે વાત કરતા માછીમાર રાજાભાઈએ ચિંતા જન્માવી છે કે તેમના માણસો અને અન્ય સ્થાનિકો સતત નદીની આસપાસ જ રહે છે અને તેમનું જીવન નદી પર જ નિર્ભર છે. અત્યાર સુધીમાં તેમના માણસોએ અલગ-અલગ સમયે ઓછામાં ઓછી 4-5 મગરો નરી આંખે જોઈ છે. ક્યારેક કિનારા પાસે તો ક્યારેક નદીની અધવચ્ચે આ મગરો દેખાતી હોવાથી માછીમારો માટે હવે રોજગારી મેળવવી પણ જોખમી બની ગઈ છે. ગમે ત્યારે કોઈ મોટો મગર નાવડી પલટાવી દે અથવા કોઈ માણસ પર હુમલો કરી દે તેવી ભીતિ માછીમાર પરિવારો સતાવી રહી છે.
સ્થાનિક માછીમાર અને નદી કિનારે જ રહેતા મનોજભાઈ અંબારામ પટેલ (જેઓ વિસ્તારમાં 'રાજાભાઈ' તરીકે લોકપ્રિય છે)ના જણાવ્યા અનુસાર, તાપી નદીના આ પટમાં હાલમાં મગરોએ પોતાનો ડેરો જમાવ્યો છે. તેમણે વિગતો આપતા જણાવ્યું કે, નદીમાં દેખાયેલી મગરો પૈકી એક મગર તો કમ સે કમ 10-12 ફૂટ લાંબી અને અત્યંત વિશાળકાય છે. આ સિવાય અન્ય બે મગરો આશરે 7થી 8 ફૂટની લંબાઈ ધરાવે છે. એકસાથે આટલા મોટા કદના જળચરો નદીમાં ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી નદી કિનારાની દિનચર્યા પર માઠી અસર પડી રહી છે અને લોકો પાણીની નજીક જતાં પણ ફફડી રહ્યા છે.
હાલ પૂરતું તો માછીમારોએ મગરને ભગાડી દીધો છે, પરંતુ નદીમાં વસતા આ 4થી 5 મગરો ગમે ત્યારે કિનારાના રહેણાંક વિસ્તારો તરફ પણ આવી શકે છે. મનોજભાઈના ઘરની બિલકુલ નીચે જ નદીનો કિનારો આવેલો છે, જ્યાં બે થી અઢી ફૂટનો મગર આવી પહોંચ્યો હતો. આ પરિસ્થિતિને જોતા સ્થાનિક રહીશો તંત્ર અને વન વિભાગ પાસે તાકીદે આ મગરોનું રેસ્કયૂ કરવાની માંગ કરી રહ્યા છે.

