- Opinion
- દેશમાં અને ગુજરાતમાં સરકારો બદલાતી રહી પરંતુ સરકારી વ્યવસ્થાઓમાં ભ્રષ્ટાચાર વધતો જ ગયો અને નાગરિકો આ...
દેશમાં અને ગુજરાતમાં સરકારો બદલાતી રહી પરંતુ સરકારી વ્યવસ્થાઓમાં ભ્રષ્ટાચાર વધતો જ ગયો અને નાગરિકો આજે પણ લૂંટાઈ જ રહ્યા છે
આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં સરકારો બદલાતી રહી છે. ક્યારેક કોંગ્રેસની, ક્યારેક ભાજપની પરંતુ સરકારી વ્યવસ્થાઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટવાને બદલે વધતું જ ગયું છે. આજે પણ સામાન્ય નાગરિકને પોતાના હક્કના કામ માટે લાંબી લાઈનો, અધિકારીઓની ઉદાસીનતા અને ખુલ્લેઆમલી લાંચનો સામનો કરવો પડે છે. આ સ્થિતિ માત્ર દુઃખદ નથી પરંતુ ચિંતાજનક પણ છે.

ભ્રષ્ટાચારનું મૂળ કારણ વ્યવસ્થાની જટિલતા, પારદર્શિતાનો અભાવ અને જવાબદારીની ખોટમાં રહેલું છે. દરેક નવી સરકાર સત્તામાં આવે ત્યારે મોટા મોટા વાયદા કરે છે ભ્રષ્ટાચારમુક્ત શાસન, ડિજિટલાઈઝેશન, ઝીરો ટોલરન્સ વિગેરે વિગેરે. પરંતુ વાસ્તવિકતામાં થોડા સમય પછી જૂની વ્યવસ્થા જ કાયમ રહે છે. આપણા ગુજરાતમાં પણ જેને વિકાસનું મોડેલ કહેવામાં આવે છે ત્યાં પંચાયતથી લઈને સચિવાલય સુધીના સ્તરે લાંચની ફરિયાદો સામાન્ય છે. રેશન કાર્ડ, જમીનના દસ્તાવેજો, લાઈસન્સ કે પરમિટ મેળવવા માટે નાગરિકોને હજુ પણ "સ્પીડ મની" ચૂકવવું પડે છે. આવકવેરા, જીએસટી જેવા વિભાગોમાં તો ભ્રષ્ટાચાર ઉચ્ચ અધિકારીઓથી માંડીને પટાવાળા સુધી આ સડો ફેલાયેલો છે.

આ ભ્રષ્ટાચારનું સૌથી મોટું નુકસાન એ છે કે તે સામાન્ય નાગરિકની સરકારી વ્યવસ્થાઓ પ્રત્યેની આસ્થા અને વિશ્વાસને ખોખરો કરી નાખે છે. જ્યારે વ્યવસ્થા પોતે જ લૂંટ ચલાવે ત્યારે નાગરિકોમાં નિરાશા ફેલાય છે અને લોકશાહી પ્રત્યેનો ભરોસો ઘટે છે. આનાથી સમાજમાં અસમાનતા વધે છે, ગરીબ વધુ ગરીબ બને છે અને શ્રીમંતોનું વર્ચસ્વ વધે છે.
આ સમસ્યાનો ઉકેલ માત્ર કાયદાઓ કે સંસ્થાઓમાં નથી પરંતુ નૈતિકતા અને જાગૃતિમાં છે. નાગરિકોએ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ અપનાવવું જોઈએ. સરકારોએ વાસ્તવિક પારદર્શિતા લાવવી જોઈએ, ડિજિટલ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી જોઈએ અને દોષિતોને કડક સજા આપવી જોઈએ. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી સરકારો બદલાતી રહેશે અને દેશના નાગરિકો લૂંટાતા રહેશે.

