- National
- જ્યારે પોતે જ જગદીપ ધનખડને હટાવવા માગતી હતી કોંગ્રેસ, તો પછી રાજીનામા પર હાયતોબા કેમ?
જ્યારે પોતે જ જગદીપ ધનખડને હટાવવા માગતી હતી કોંગ્રેસ, તો પછી રાજીનામા પર હાયતોબા કેમ?
ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખડના રાજીનામાને કારણે રાજકીય માહોલ ગરમ છે. તેમના રાજીનામા બાદ વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે, ધનખડે કોઈ દબાણમાં રાજીનામું આપ્યું છે. વિપક્ષના નેતાઓ ધનખડ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ તેમને એક મહાન વ્યક્તિ કહી રહ્યા છે, પરંતુ આ એ જ નેતાઓ છે જેઓ થોડા મહિના અગાઉ સુધી ધનખડ પર પક્ષપાતનો આરોપ લગાવી રહ્યા હતા. તેઓ સત્તા પક્ષને વધુ સમય આપવાની વાત કહેતા હતા.
હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વિપક્ષે ધનખડ સામે ગયા વર્ષે 10 ડિસેમ્બરે અવિશ્વાસ પ્રસતાવની નોટિસ રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીને સોંપી હતી. આ પ્રસ્તાવ પર કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC), આમ આદમી પાર્ટી (AAP), સમાજવાદી પાર્ટી (SP), DMK અને અન્ય વિપક્ષી પાર્ટીઓના લગભગ 60 સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. વિપક્ષે ગૃહમાં ધનખડ પર પક્ષપાતપૂર્ણ વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. જોકે 19 ડિસેમ્બરે ઉપાધ્યક્ષ હરિવંશે ટેક્નિકલ આધાર પર આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો, કારણ કે તેને રજૂ કરવા માટે જરૂરી 14 દિવસની નોટિસ આપવામાં આવી નહોતી. આ ભારતના સંસદીય ઇતિહાસમાં પહેલો અવસાર હતો, જ્યારે ઉપરાષ્ટ્રપતિ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
આ અવિશ્વાસ પ્રસ્તાવમાં સૌથી આગળ દેખાયેલી કોંગ્રેસ પાર્ટી અને તેના નેતા હવે ધનખડની પ્રશંસા કરી રહ્યા છે. હકીકતમાં, ધનખડે સોમવારે રાત્રે સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે દાવો કર્યો હતો કે જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવા પાછળ તેમના દ્વારા જણાવવામાં આવેલા સ્વાસ્થ્ય કારણો સિવાય અન્ય મોટા કારણો છે. કોંગ્રેસે કહ્યું કે ધનખડનું રાજીનામું તેમની બાબતે ઘણું બધું કહે છે અને સાથે જ એ લોકોની નિયત પર પણ ગંભીર સવાલ ઉભા કરે છે, જેમણે તેમને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચાડ્યા. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ધનખડે સોમવારે બપોરે 12:30 વાગ્યે રાજ્યસભાની કાર્ય મંત્રણા સમિતિની અધ્યક્ષતા કરી હતી.
કોંગ્રેસે કહ્યું કે સોમવારે બપોરે 1:00 થી 4:30 વાગ્યાની વચ્ચે કંઈક ખૂબ જ ગંભીર ઘટના બની હતી કે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને કિરેન રિજિજૂ કાર્ય મંત્રણા સમિતિની બેઠકમાં પહોંચ્યા નહોતા. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે એમ પણ કહ્યું કે ધનખડ માપદંડ, શિષ્ટાચાર અને નિયમો પ્રત્યે ખૂબ જ સભાન હતા અને તેમનું માનવું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન આ નિયમોની સતત અવહેલના થઈ રહી હતી. કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે ધનખડ હંમેશાં 2014 બાદ ભારતની પ્રશંસા કરતા હતા, પરંતુ સાથે જ ખેડૂતોના હિત માટે ખૂલીને અવાજ ઉઠાવ્યો. તેમણે સાર્વજનિક જીવનમાં વધતા અહંકારની ટીકા કરી હતી અને ન્યાયપાલિકાની જવાબદારી અને સંયમની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. તેમણે વિપક્ષને શક્ય તેટલી જગ્યા આપવાનો પ્રયાસ કર્યો હતો.
હવે સવાલ ઊભા થાય છે કે, જો ધનખડ આટલા સારા છે, તો પછી કોંગ્રેસ પાર્ટી ડિસેમ્બરમાં તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લાવી હતી. શું તે સમયે ધનખડ ખરાબ હતા અને શું તેઓ હવે સારા બની ગયા છે? આ કોંગ્રેસ પાર્ટીના બેવડા ધોરણો બતાવે છે. હવે તેઓ તેમના રાજીનામા પર ખોટા હાયતોબા કરી રહી છે. તે સ્વાસ્થ્ય કારણોસર ધનખડના રાજીનામાના મુદ્દા પર પણ રાજનીતિ કરી રહી છે.

